અજય સિંઘ, ગવર્નેન્સ નાઉ
આવા આરોપો માટે કોઈને પણ જોકે સહજેય શંકા તો જવાની જ. પણ અહીં જે વાત અર્થસૂચક છે તે એ છે કે ડેવી જેવા રીઢા ગુનેગારોને પણ ખ્યાલ છે કે ભારતીય સમવાયતંત્ર હવે બેસૂરુ થઈ રહ્યુ છે અને આ પરિસ્થિતીનો લાભ ઉઠાવીને પોતાના ગુનાઓને ઢાંકી દઈ શકાય એમ છે. અને ડેવી જે કહી રહ્યો છે તે સાવ જુઠ્ઠાણું નથી એવું માનવાનાં કારણો પણ છે. પુરુલિયા આર્મ્સ ડ્રોપ કેસનાં સંદર્ભે સીબીઆઈનાં એક વરિષ્ઠ અધિકારીએ પણ કબુલ્યુ હતુ કે આ આખીય તપાસમાં આખરે ભીનું સંકેલાવાનું છે કેમકે જો તપાસ થાય તો સરકારી માળખાનાં કેટલાય હાડપિંજર બહાર આવે તેમ છે. આ કેસનાં અન્ય એક આરોપી પીટર બ્લીચે સીબીઆઈ સમક્ષ વારંવાર કહ્યુ હતું કે, “જો હું અંદરની વાત ખોલીશ તો તમારી સરકારને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવુ પડશે”. બ્લીચને ત્યારબાદ બ્રિટિશ રાજદ્વારીનાં દબાણ હેઠળ દયાની રાહે છોડી મુકવામાં આવ્યો હતો.
અને એ યોગાનુયોગ નથી કે યુપીએ સરકાર ગુજરાતની લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને ધરાશાયી કરવા હજી અન્ય એક પ્રયુકિત અજમાવી રહી છે. અને આ અનોખી પ્રયુક્તિમાં કેન્દ્ર સરકાર એક લોકતાંત્રિક હથિયારનો ઉપયોગ કરી રહી છે. રાજ્ય સરકારનાં પહેલેથી ભ્રષ્ટ હોય એવા અધિકારીઓને તે હાથા તરીકે વાપરી રહી છે અને આ અધિકારીઓ કેન્દ્ર સરકારનાં હાથનાં પ્યાદા બનવા તૈયાર જ છે.
આ મુદ્દો હવે વધુ ગંભીર સ્વરૂપ પકડી રહ્યો હોય તેવું લાગે છે કારણકે ગુજરાત સરકારનાં મુખ્ય સચિવે કેન્દ્રનાં ગૃહસચિવને આ કિસ્સામાં નિયુક્તિ અંગેનાં પ્રવર્તમાન નિયમોનો ભંગ થયો છે એ અંગેનો પત્ર લખ્યો છે. રાજ્ય સરકારનાં પત્રને દબાવી દેવામાં આવ્યો છે અને તેથી તે આ બાબતને લઈને કોર્ટમાં ગઈ છે.
હવે ભટ્ટનાં ‘બહાદુરી’ભર્યા રેકોર્ડ ઉપર નજર નાંખો. ઓક્ટોબર ૧૭, ૧૯૯૬ નાં રોજ - જ્યારે મોદી ગુજરાતનાં ચિત્રમાં ક્યાંય નહોતા ત્યારે - રાજસ્થાનનાં પાલી ખાતે તેમની વિરુધ્ધ એફ.આઈ.આર દાખલ કરવામાં આવી હતી. ભટ્ટ તે વખતે રાજસ્થાનની સીમા નજીકનાં ગુજરાતનાં બનાસકાંઠાનાં એસ.પી હતા. તેમની ઉપર આરોપ મૂકવામાં આવ્યો હતો કે એક કોમર્શિયલ જગ્યાને ખાલી કરાવવા માટે તેમણે સુમેરસિંઘ રાજ્પુરોહિત નામક વ્યક્તિને નશીલા દ્રવ્યોનાં કેસમાં ફસાવ્યા હતા. તપાસનાં અંતે ભટ્ટ સામે જોધપુરની એન.ડી.પી.એસ કોર્ટમાં એક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ભટ્ટે જોકે સુપ્રિમ કોર્ટમાંથી સ્ટે ઓર્ડર મેળવી લીધો પણ એન.એચ.આર.સી. એ તેમને અવિવેકી કૃત્ય બદલ રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ રાજ્ય સરકારે ભોગવી. ખબર છે સુપ્રિમ કોર્ટમાં સંજીવ ભટ્ટની બ્રીફ કોણે આપી હતી? બીજુ કોઈ નહિ પણ ખુદ ચિદંબરમે!
કેન્દ્ર સરકાર સાવધાનીપૂર્વક ગુજરાતનાં સરકારીતંત્રમાં બંડખોરીને ઉત્તેજન આપી રહી છે અને આ વિક્ટ પરિસ્થિતિનો મુકાબલો રાજ્ય સરકારે કરવો પડે તેમ છે. તાજેતરમાંજ ભ્રષ્ટાચારનાં કેસમાં જેલમાં સડી રહેલા એક બઢતી પામેલ આઈ.એ.એસ. અધિકારી પ્રદીપ શર્મા મોદીની સામે પડ્યા. તેમણે ૨૦૦૨ નાં રમખાણોમાં મોદીની સામેલગીરી અંગે બધી જ મહિતી આપી દેવાનો વાયદો કર્યો. ફરી એકવાર, ગૃહપ્રધાન - કે જે દેશનાં દરેક આઈ.એ.એસ અને આઈ.પી.એસ અધિકારીની કેડરને નિયંત્રિત કરે છે – તેમણે મુખ્યમંત્રીની સામે પડવા માટે શર્માની પ્રશંસા કરી. સંજોગવશાત, પ્રદીપ શર્મા અને કુલદીપ શર્મા બંન્ને ભાઈઓ છે.
ડેવીએ નરસિંહરાવની સરકાર સામે કરેલા આરોપો પણ આ સંદર્ભે સૂચક છે. જો આ આરોપોને થોડા ઘણા પણ સાચા માની લેવામાં આવે, તો પણ કોંગ્રેસ પાર્ટી લોકશાહી ઢબે ચૂંટાયેલી રાજ્ય સરકારો વિરુધ્ધ સશસ્ત્ર બળવા સહિતની અનોખી પ્રયુક્તિઓ અપનાવે છે, તેવું માની શકાય છે.
એસ.આર.બોમાનીએ એક ચુકાદામાં કલમ ૩૫૬ ને ‘ઈન્સાફી તપાસને પાત્ર’ ગણાવીને ચૂંટાયેલી સરકારોને હટાવી દેવા ઉપર કડક શરતો લાગુ પાડી. ત્યારબાદ સરકારોને ઉથલાવી દેવાનું કામ મુશ્કેલ બન્યું. અને પછી કોંગ્રેસે પ્રતિસ્પર્ધીઓ દ્વારા ચલાવાતી રાજ્ય સરકારોને ઉથલાવી પાડવા માટે અનોખી પ્રયુક્તિઓ આદરવાનું શરૂ કર્યુ હોય એમ લાગે છે અને આ માટે તે દેશનાં સ્થાપિત સંસ્થાનોનો ઉપયોગ કરીને તેમની ઘોર ખોદી રહી છે. જો ડેવીનાં પર્દાફાશને અવગણવામાં આવે તો પણ, ગુજરાતમાં યુપીએ સરકારે કરેલી વિધ્વંસક ચાલબાજીઓ એ વાત સ્પષ્ટ કરે છે કે સમવાય માળખાની અવગણના કરવાની કોંગ્રેસની આદતમાં સુધારો થાય એમ નથી અને આ આદત હવે પાર્ટીનાં ડી.એન.એ. નો હિસ્સો બની ચૂકી છે.